મધદરિયે મહારાષ્ટ્રની બોટ દ્વારા ગુજરાતનાં માછીમારો પર હુમલો, 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત

અરબી સમુદ્રમાં કેટલીક મહારાષ્ટ્રની બોટો મધરાત્રે નવાબંદરથી 40 નોટિકલ માઇલ દરિયામાં આવીને ગેરકાયદેસર રીતે માછલી પકડવાના જાળ નાખીને મોટી માછલીનો જથ્થો પકડી અને લઈ જાય છે. તેનાં કારણે સ્થાનિક બંદરોનાં માછીમારોને નુકસાન થાય છે અને ભૂખે મરવાનો વારો આવે છે. આવુજ હમણાં નવાબંદરથી 50 નોટીકલ માઇલ દૂર દરિયામાં બન્યું હતું. જેમાં મહારાષ્ટ્રની કેટલીક મોટી બોટોએ નવાબંદરની એક બોટને ચારેય બાજુથી ઘેરી લધી હતી અને તેની સાથે બોટ અથડાવી અને તોડીને ડૂબાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ 4 ખલાસી અને 1 ટંડેલને લાકડી અને પાઇપવડે માર માર્યો હતો.  તેને લીધે પાંચેયને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.

સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નવાબંદર નજીકનાં દરિયામાં મહારાષ્ટ્રની અસંખ્ય બોટો ઘાતક હથિયાર સાથે ગેરકાયદેસર રીતે આવીને ફીશીંગ કરી જાય છે. અને સ્થાનિક માછીમારોના માછલી પકડવાના જાળને પણ નુકસાન કરી જાય છે. ખુલ્લેઆમ દાદાગીરી કરીને સ્થાનિક માછીમારોની બોટોને સાથે અથડાવીને ડુબાડી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે સાથે બોટના ટંડલ અને ખલાસીઓ ઉપર ઘાતક હથિયારવડે હુમલા કરતા હોવાથી આ વિસ્તારના માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ બોટનાં ટંડેલ મોહન ગોવિંદભાઈ શીયાળ, ખલાસી, હરીભાઈ બાબુભાઈ બાંભણીયા, રામજીભાઈ બચુભાઈ સોલંકી, હસમુખભાઈ ગોવિંદભાઈ શીયાળ, મહેશભાઈ ભીમાભાઈ સિલોતને ઈજાગ્રસ્ત હાલતમાં ઊના સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને પગલે નવાબંદરનાં સરપંચ સહિત માછીમાર સમાજના લોકો અને આગેવાનો હોસ્પીટલે દોડી ગયા હતા. આ બનાવ ને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.