અમરેલી : ડાયાબીટીસની બિમારી મટાડવાના બહાને ખેડૂત પાસેથી તાંત્રિક સહિત બે લોકોએ રૂા.3.30 લાખ પડાવ્યા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકીને ત્રણ લોકોએ ડાયાબીટીસની દવા બનાવી આપવા અને વિધી કરી આપવાના બહાને રૂપિયા 3.30 લાખની છેતરપીંડી કરતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ ઘટના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકી નામના ખેડૂત સાથે બની હતી. ગભરૂભાઇને સંતાનમા 19 વર્ષનો ભાવેશ નામનો પુત્ર છે જે ડાયાબીટીસની બિમારીથી પીડાઇ રહ્યો છે. ગત તારીખ 24-2ના રોજ પોતાના પરિવાર સાથે ઘરે હતા ત્યારે ગોપાલદાસબાપુ નામના સાધુ અને બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દક્ષિણા લીધી હતી. ત્યાર બાદ ગભરૂભાઇએ પોતાના પુત્રની ડાયાબીટીસની બિમારી વિશે વાત કરી હતી એટલે ગોપાલદાસબાપુએ તેના આબુમા રહેતા પોતાના ગુરૂ દવા બનાવી આપશે તેવી ખાતરી આપી હતી. અને ગભરૂભાઇ પાસેથી મોબાઇલ નંબર લીધા હતા. ત્યારબાદ એકાદ મહિના પછી ગભરૂભાઇના મોબાઇલમા ગોપાલદાસના ગુરૂ બોલું છું એવો ફોન આવ્યો હતો અને બધા દુખ દુર થઇ જશે તેમ કહી વિધી કરવા માટે રૂપિયા 5100નો ખર્ચ થશે એમ જણાવ્યુ હતું. તે માટે તેમને ચોટીલા બોલાવી રાત્રીના સમયે અંધકારમા ધાર્મિક વિધી કરી હતી.

પછી બીજા દિવસે ફરી તેણે કોલ કર્યો અને બીજી વિધિ માટે 5.25 લાખ રૂપિયા માંગ્યા. ગબરૂભાઈએ સંબંધીઓ પાસેથી અને તેની પત્નીના ઘરેણાં વેચીને રૂ. 3.30 લાખ ભેગા કર્યા અને ગુરુના કહેવા મુજબ તેણે આ રકમ તેના દ્વારા મોકલેલ વ્યક્તિને આપી હતી. ત્યારપછી આ વ્યક્તિએ ન તો કોઈ દવા મોકલી કે ન તો કોઈ ધાર્મિક વિધિ કરી અને તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. છેતરપિંડીનો અહેસાસ થતાં તે જાફરાબાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.