સાવરકુંડલા: રોડ પર 20 વર્ષથી રહેતા લોકોને જગ્યા ખાલી કરવા ધમકી

અમરેલીમાં સાવરકુંડલા રોડ પર ગુજકોમાશોલની પાછળ 20 વર્ષથી રહેતા ગરીબ લોકોને જગ્યા ખાલી કરવા કોઈ અજાણ્યો શખ્સ ધમકી આપી ગયો હતો. જો જગ્યા ખાલી નહી કરાઈ તો તેમના મકાન પર બુલડોઝર ફેરવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અહીની જગ્યામાં આ જગ્યા ગુજરાત વેર હાઉશીંગ કોર્પોરેશનની હોવાનું બોર્ડ લગાવી દેવાયું હતું. અંતે સ્થાનિક લોકો જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય ન્યાય આપવા માંગણી કરી હતી.

  • 10 દિવસમાં જગ્યા ખાલી નહીં કરાઇ તો મકાન પર બુલડોઝર ફેરવાશે
  • લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય ન્યાય આપવા માંગ કરી

મહેશભાઈ વાડદોરીયા સહિતના સ્થાનિક લોકોએ કલેકટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલીના સાવરકુંડલા રોડ પર ગુજકોમાશોલની પાછળ છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી રહેઠાણ ધરાવીએ છીએ, નગરપાલિકાને વેરો પણ ભરીએ છીએ. તેમજ વીજ કનેકશન પણ છે. સાથે સાથે વર્ષોથી રહેઠાંણના અન્ય ડોક્યુમેન્ટો ધરાવીએ છીએ. અહી રહેતા તમામ લોકો મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પણ બે દિવસ પહેલા અહી ગુજરાત વેર હાઉશીંગ કોર્પોરેશનની જગ્યા હોવાનું બોર્ડ લગાવી દેવાયું છે.

આ ઉપરાંત કોઈ અજાણ્યો શખ્સ અહી આવીને 10 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા અન્યથા મકાનો પર બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરવાની ધમકી આપી હતી. તેમજ સરકારના નિયમ મુજબ કોઈ નોટીસ પણ અપાઈ નથી. અહી યોગ્ય તપાસ કરી ગરીબ અને મજુર પરિવારને યોગ્ય ન્યાય આપવા માંગણી કરી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.